TRP ગેમ ઝોનમાં કયા નેતાના ઇશારે ડિમોલેશન ના થયું ? ચૂંટણીના પરિણામ બાદ રાજકોટ સંગઠનમાં મોટા ફેરફારના સંકેત
- GujaratOthers
- June 3, 2024
- No Comment
- 17
રાજકોટમાં TRP ગેમઝોનમાં બનેલી દુર્ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે. રાજ્ય સરકારે SITની રચના કરીને આ કેસમાં ગંભીર પગલા લેવાની તૈયારી બતાવી છે અને એટલા માટે જ રાજકોટ મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ ઓફિસર સહિત ચાર જેટલા અધિકારીઓને પકડી પાડવામાં આવ્યા છે.
આ કેસમાં ભુતકાળમાં આ જ સ્થળે આગ લાગી હોવા છતાં અને ટીપી શાખાએ ડિમોલેશનની તૈયારીઓ કરી દેવા છતા કેમ કાર્યવાહી ન થઇ તે મોટો સવાલ છે. આ જ કારણે અધિકારીઓની જવાબદારી ફિક્સ કરીને તેની સામે કાર્યવાહી કરવામાં આવી છે, પરંતુ શું માત્ર અધિકારીઓના વલણને કારણે જ આ કાર્યવાહી અટકી છે કે પછી કોઇ નેતાને આ ગેમ ઝોનનું ડિમોલેશન અટકાવવામાં રસ હતો તે મોટો સવાલ છે.
રાજકોટમાં ચર્ચાતી વિગત પ્રમાણે ભાજપના સંગઠનના એક નેતાના ગેમ ઝોનના માલિક સાથેના ઘરોબાને કારણે આ કાર્યવાહીમાં વિલંબ થયો છે. આ નેતા અને ગેમ ઝોનના માલિક પ્રકાશ જૈન વચ્ચે ગાઢ મિત્રતા હતી. જેના કારણે જ્યારે પણ મહાનગરપાલિકા કાર્યવાહીની વાત કરતી ત્યારે આ નેતા વચ્ચે આવતા હોવાની ચર્ચા છે. આ નેતાના અનેક કારનામાની ચિઠ્ઠી પાર્ટી હાઇકમાન્ડ સુધી પહોંચી છે, જેના કારણે ચૂંટણી પછી રાજકોટના સંગઠનમાં ફેરફાર થાય તેવી શક્યતા પ્રબળ રીતે જોવાઇ રહી છે.
સાગઠિયા મોં ખોલશે તો નેતાનો ખેલ પડી જશે
રાજકોટ મહાનગરપાલિકામાં રાજકીય પાર્ટીની દખલગિરી ખુબ જ વધારે છે. ખાસ કરીને ટીપી શાખામાં તેની દખલગિરીને કારણે અનેક ગેરકાયદેસર બાંધકામો પર ટીપી શાખા પડદો નાખતી આવી છે. સૂત્રો પાસેથી મળતી વિગત પ્રમાણે રાજકોટ ભાજપના એક નેતા અને પ્રકાશ જૈન વચ્ચે મિત્રતા હતી. અવારનવાર બંન્ને વચ્ચે મુલાકાત પણ થતી હતી.
સંગઠનમાં સારો હોદ્દો ધરાવતા આ નેતાને કારણે ગેમ ઝોન ગેરકાયદેસર રીતે ધમધમી રહી છે. એવું નથી કે આ એક જ નેતા છે, પરંતુ રાજકોટ મહાનગરપાલિકામાં શાસન કરી ચુકેલા અગાઉના કેટલાક હોદ્દેદારોની પણ મિઠી નજર આ ગેમ ઝોન પર હતી. એવી પણ ચર્ચા છે કે એક પૂર્વ ધારાસભ્યના પરિવારના પણ આ ગેમ ઝોનના સંચાલકો પર આર્શીવાદ છે. કાર્યવાહીના વિલંબ અંગે જો સાગઠિયા ક્રાઇમ બ્રાન્ચ સમક્ષ મોઢું ખોલશે તો આ નેતાનો ખેલ પડી જાય તેવી પણ શક્યતા છે.
રાજકોટ ભાજપના સંગઠનથી પ્રદેશ હાઇકમાન્ડ નારાજ
રાજકોટ ભાજપમાં સબ સલામત નથી, અગાઉ ક્ષત્રિય આંદોલનને ડામવામાં અને ચૂંટણીમાં નિષ્ક્રિયતા માટે અગાઉથી જ પ્રદેશ નેતૃત્વની નજરમાં રહેલું શહેર ભાજપ સંગઠન માટે અગ્નિકાંડ બળતામાં ઘી હોમવા જેવી ઘટના બની છે. અગ્નિકાંડમાં ભાજપના નેતાઓના વાણી વિલાસ અને વર્તનથી ભાજપનું પ્રદેશ મવડી મંડળ નારાજ છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે આ અંગેનો રિપોર્ટ કેન્દ્ર સુધી કરવામાં આવ્યો છે. પ્રદેશ સંગઠન સીટના રિપોર્ટ પર પણ નજર રાખી રહ્યું છે, જો તપાસમાં કોઇ નેતાની સીધી રીતે સંડોવણી આવશે તો તેની સામે શિક્ષાત્મક પગલાં લેવાઇ શકે છે. જો કોઇ નેતાના આર્શિવાદ આ ગેમ ઝોનના સંચાલકો પર હોવાની વાત સાબિત થશે તો તેની સામે કડક એક્શન સુધીની પક્ષની તૈયારી છે. જો કોઇ નક્કર પુરાવાઓ નહિ મળે તો પણ શહેર સંગઠનમાં મોટાપાયે ફેરફાર થાય તેવી શક્યતા જોવા મળી રહી છે.
અમિત શાહે મુલાકાત કરવાનું ટાળ્યું
કોઇપણ પ્રદેશના નેતા અથવા તો રાષ્ટ્રીય નેતા એરપોર્ટ પર ટૂકું રોકાણ કરે તો તેના સ્વાગત માટેનો પ્રોટોકોલ હોય છે અને સાંસદ સભ્ય, ધારાસભ્યો, મેયર અને શહેર સંગઠન જતું હોય છે, પરંતુ અમિત શાહે રાજકોટ એરપોર્ટ પરની ટૂંકી મુલાકાત દરમિયાન કોઇપણ નેતાઓને મળવાનું ટાળ્યું હતું. આચાંરસંહિતા હોવાને કારણે કોઇ અધિકારીઓ પણ એરપોર્ટ પર ગયા ન હતા. અમિત શાહ સીધા જ રાજકોટ એરપોર્ટથી સોમનાથ જવા રવાના થઇ ગયા હતા. અમિત શાહે રાજકોટના નેતાઓ સાથે મુલાકાત ન કરતા અનેક ચર્ચાઓ શરૂ થઇ છે. શું અમિત શાહે રાજકોટના નેતાઓને નારાજગીનો સંકેત આપ્યો કે કેમ તે મોટો સવાલ છે.
અગ્નિકાંડને કારણે સરકારની છબીને ડાઘ લાગ્યો છે, જેને ભુંસવા માટે અનેક કડક પગલાં લેવામાં આવી રહ્યા છે ત્યારે અધિકારીઓ બાદ નેતાઓ પર કોઇ કાર્યવાહી થાય છે કે કેમ તે જોવાનું રહેશે.