T20 WC : શાહિદ આફ્રિદી હજી પણ જમાઈનું અપમાન ભૂલી શક્યો નથી, બાબર પર ઉઠાવ્યા સવાલ
- GujaratOthers
- June 12, 2024
- No Comment
- 12
પાકિસ્તાને T20 વર્લ્ડ કપ 2024માં પોતાની પ્રથમ જીત નોંધાવી છે પરંતુ હવે કદાચ તેના માટે ઘણું મોડું થઈ ગયું છે. કારણ કે પાકિસ્તાન બે મેચ હારી ચૂક્યું છે અને તેની છેલ્લી મેચ પર વરસાદનો ખતરો છે. અમેરિકાની છેલ્લી મેચમાં પણ વરસાદની સંભાવના છે. જો બેમાંથી કોઈ એક મેચ ધોવાઈ જશે તો પાકિસ્તાન બહાર થઈ જશે. પાકિસ્તાન આઉટ થશે કે નહીં તે ચર્ચાનો વિષય છે પરંતુ તે પહેલા પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીએ કેપ્ટન બાબર આઝમ પર નિશાન સાધ્યું છે. શાહિદ આફ્રિદીએ કહ્યું કે જો બાબર આઝમ શાહીનની કેપ્ટનશીપમાં રમવા માટે સંમત થયો હોત તો તેની નજરમાં બાબરનું માન વધ્યું હોત.
શાહિદ આફ્રિદીએ બાબર આઝમ પર નિશાન સાધ્યું
શાહિદ આફ્રિદીએ સામ ચેનલ પર કહ્યું, ‘મારી નજરમાં બાબર આઝમનું સન્માન વધી ગયું હોત જો તેણે નક્કી કર્યું હોત કે હું શાહીનની કેપ્ટન્સીમાં રમવા માંગુ છું. તેને તરત જ PCBએ કેપ્ટન પદ પરથી હટાવી દીધો હતો અને ત્યારબાદ શાહીન આફ્રિદીને ટીમની કમાન સોંપવામાં આવી હતી. પરંતુ માત્ર એક સિરીઝ બાદ શાહીનને સુકાની પદ પરથી હટાવી દેવામાં આવ્યો અને ફરી એકવાર બાબરના હાથમાં કમાન આવી ગઈ. જેના કારણે પાકિસ્તાની ટીમનો માહોલ બગડ્યો હોવાના અહેવાલો સામે આવ્યા હતા.
બાબરની કેપ્ટનશીપ ફરી જોખમમાં
બાબર આઝમ ફરી કેપ્ટન બન્યો છે પરંતુ હવે તે ફરી પોતાનું પદ ગુમાવી શકે છે. જો પાકિસ્તાન T20 વર્લ્ડ કપના પહેલા રાઉન્ડમાંથી બહાર થઈ જાય છે તો બાબર આઝમને સુકાનીપદ ગુમાવીને તેની કિંમત ચૂકવવી પડી શકે છે. પાકિસ્તાને T20 વર્લ્ડ કપમાં ખૂબ જ ખરાબ પ્રદર્શન કર્યું છે. આ ટીમ પ્રથમ મેચમાં સુપર ઓવરમાં અમેરિકા સામે હારી ગઈ હતી અને ત્યારબાદ ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને 120 રન બનાવવા દીધા ન હતા. કેનેડા સામે પાકિસ્તાન ચોક્કસપણે જીત્યું પરંતુ હવે કદાચ ઘણું મોડું થઈ ગયું છે.
આ પણ વાંચો : T20 WC : ઓસ્ટ્રેલિયા ઈંગ્લેન્ડને બહાર કરવા સ્કોટલેન્ડ સામે હારવા તૈયાર ? એક નિવેદના કારણે હોબાળો