![T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા પર પડી મોટી મુસીબત, બાર્બાડોસમાં વીજળી અને પાણી પણ ગાયબ, તમામ ફ્લાઈટ્સ રદ્દ](https://topsecretnewspaper.com/wp-content/uploads/2024/07/200546-t20-878046064667485783-102694-119716266572025316-588753715-340959703-692.jpg)
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા પર પડી મોટી મુસીબત, બાર્બાડોસમાં વીજળી અને પાણી પણ ગાયબ, તમામ ફ્લાઈટ્સ રદ્દ
- GujaratOthers
- July 1, 2024
- No Comment
- 12
![T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા પર પડી મોટી મુસીબત, બાર્બાડોસમાં વીજળી અને પાણી પણ ગાયબ, તમામ ફ્લાઈટ્સ રદ્દ](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/07/Team-India-32.jpg)
ટીમ ઈન્ડિયાએ બાર્બાડોસના કેન્સિંગ્ટન ઓવલ મેદાન પર T20 વર્લ્ડ કપ જીતીને ઈતિહાસ રચ્યો હતો. બાર્બાડોસની ધરતી માત્ર ટીમ ઈન્ડિયા માટે જ નહીં પરંતુ તેના દરેક પ્રશંસકો માટે ખાસ બની ગઈ છે, પરંતુ હવે રોહિત એન્ડ કંપની પર મોટી મુસીબત આવી ગઈ છે. વાસ્તવમાં ટીમ ઈન્ડિયા બાર્બાડોસમાં અટવાઈ ગઈ છે અને તેનું કારણ છે તોફાન.
બાર્બાડોસની તમામ ફ્લાઈટ્સ રદ્દ
આખું બાર્બાડોસ ચક્રવાતની ઝપેટમાં આવ્યું છે અને મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ટીમ ઈન્ડિયાના દરેક ખેલાડી હવે તેમના હોટલના રૂમમાં કેદ છે. બાર્બાડોસમાં તોફાનને કારણે વીજળી અને પાણીની વ્યવસ્થા પણ ઠપ થઈ ગઈ છે. ભારે વરસાદ અને તોફાની પવનને કારણે હવાઈ અવરજવર પણ થંભી ગઈ છે. અહેવાલો અનુસાર, બાર્બાડોસની તમામ ફ્લાઈટ્સ રદ્દ કરવામાં આવી છે.
ટીમ ઈન્ડિયા ક્યારે ભારત પરત ફરશે?
ભારતીય ટીમ બાર્બાડોસમાં અટવાઈ ગઈ છે અને તે ક્યારે પરત ફરશે તે અંગે હજુ સુધી કોઈ માહિતી મળી નથી. માત્ર ખેલાડીઓ જ નહીં, BCCI સેક્રેટરી જય શાહ પણ બાર્બાડોસમાં છે. રિપોર્ટ્સ અનુસાર, જય શાહ ટીમ ઈન્ડિયા પહેલા ભારત પરત ફરવાના હતા, પરંતુ બાર્બાડોસમાં હવામાન ખરાબ થયા બાદ તેમણે ટીમ સાથે રહેવાનો નિર્ણય કર્યો હતો.
ખેલાડીઓ ફાઈવ સ્ટાર હોટલમાં
વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે ગયેલા ઘણા વિદેશી અને ભારતીય પત્રકારો પણ બાર્બાડોસમાં અટવાઈ ગયા છે. સોશિયલ મીડિયા પર તેમની પાસેથી મળેલી માહિતી અનુસાર, ટીમ ઈન્ડિયા સોમવારે પણ ભારત જઈ શકશે નહીં. હાલમાં ટીમ ઈન્ડિયાના દરેક ખેલાડી પોતાની ફાઈવ સ્ટાર હોટલમાં છે.
શિવમ દુબે-સંજુ સેમસનનું શું થશે?
બાર્બાડોસમાં તોફાન શિવમ દુબે અને સંજુ સેમસન માટે વધુ ટેન્શનનું કારણ છે કારણ કે આ બંને ખેલાડીઓને બાર્બાડોસથી હરારે જવાનું છે. વાસ્તવમાં, આ બંને ખેલાડીઓની પસંદગી ઝિમ્બાબ્વે સામેની પાંચ મેચની T20 શ્રેણી માટે કરવામાં આવી છે. જો બાર્બાડોસમાં સ્થિતિ આવી જ રહી તો આ ખેલાડીઓ ક્યારે હરારે જઈ શકશે તે કોઈ જાણતું નથી. આશા છે કે બાર્બાડોસમાં હવામાન જલ્દી સુધરે અને ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ સુરક્ષિત સ્વદેશ પરત ફરી શકે.
આ પણ વાંચો: બાળપણમાં પિતાને ગુમાવ્યા, દૂધ અને એક વખતના જમવા માટે તરસ્યો, બુમરાહની સંઘર્ષમય કહાની સાંભળી આંસુ આવી જશે