Maharashtra News: વિદ્યાર્થિનીઓ સાથે યૌન શોષણ બાદ બદલાપુરમાં પ્રદર્શનકર્તાઓએ રેલવે ટ્રેકને લીધો બાનમાં, લાઈફલાઈન ગણાતી લોકલ સેવા થઈ ઠપ્પ
- GujaratOthers
- August 20, 2024
- No Comment
- 17
મુંબઈને અડીને આવેલા થાણેની એક સ્કૂલમાં બે વિદ્યાર્થિની સાથે યૌન શોષણની ઘટનાથી સમગ્ર થાણે અને મુંબઈમાં ચકચાર મચી ગઈ છે. ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે અને પીડિત વિદ્યાર્થિનીઓના પરિજનો સહિત હજારો માતાપિતાઓ ઉગ્ર દેખાવ કરી રહ્યા છે. પ્રદર્શનકર્તાઓએ સ્કૂલનો ગેટ બંધ કરી ભારે હંગામો કર્યો. ત્યારબાદ પરિજનો રેલવેસ્ટેશન પર પહોંચ્યા. અહીં સૌપ્રથમ તો તેઓ ટ્રેક બેસીને વિરોધ પ્રદર્શન અને નારેબાજી કરવા લાગ્યા. ત્યારબાદ પ્રદર્શનકર્તાઓ હિંસક બની ગયા અને ભારે તોડફોડ કરવા લાગ્યા અને પથ્થરમારો શરૂ કર્યો. જેને પગલે ત્રણ કલાક સુધી મુંબઈની લાઈફલાઈન ગણાતી લોકલ ટ્રેન સેવા બાધિત થઈ હતી. જો કે પોલીસે હંગામો કરી રહેલા પરિજનોને શાંત રહેવાની અપીલ કરી. આ તરફ ઉપમુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે તપાસના આદેશ આપ્યા છે. જે બાદ વરિષ્ઠ IPS આરતીસિંહના નેતૃત્વમાં સમગ્ર કેસની તપાસ માટે SITની રચના કરવામાં આવી છે.
આ સાથે પોલીસ કમિશનરે પણ થાણેને તુરંત એક પ્રસ્તાવ બનાવી સમગ્ર કેસને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવા માટે સબમિટ કરવાનો નિર્દેશ આપ્યો છે. યૌનશોષણની ઘટના થાણે જિલ્લાના બદલાપુરમાં આવેલી એક સ્કૂલની છે. પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટના સામે આવ્યા બાદ તુરંત આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. પરંતુ, પરિજનોની માગ છે કે સ્કૂલ પ્રશાસને પણ આ મામલે આગળ આવી સમગ્ર ઘટના પર માફી માગવી જોઈએ અને સ્કૂલની વિદ્યાર્થિનીઓની સુરક્ષાની ગેરંટી આપવી જોઈએ. પરિજનોનો આરોપ છએ કે આ સ્કૂલમાં વિદ્યાર્થિનીઓ સુરક્ષિત નથી. ઘટનાના ચાર દિવસ બાદ પણ હજુ સુધી સ્કૂલ પ્રશાસન તરફથી આ મામલે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી.
ફાસ્ટ ટ્રેક કોર્ટમાં થશે કેસની સુનાવણી
જો કે હજુ સુધી આ સમગ્ર કેસમાં સ્કૂલ પ્રશાસન મૌન સેવી રહ્યુ છે. જેના કારણે લોકોનો આક્રોષ વધી રહ્યો છે. બીજી તરફ પોલીસનું કહેવુ છે કે આરોપીની ધરપકડ કર્યા બાદ શક્ય તેટલી ઝડપથી કાયદાકીય કાર્યવાહી પુરી કરવા માટે કેસને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં મોકલવામાં આવશે. આ ઘટનાના ચાર દિવસ બાદ પણ ન્યાય મળતો ન દેખાતા સેંકડોની સંખ્યામાં લોકોએ સ્કૂલને ઘેરી લઈ ગેટ બંધ કરી ઉગ્ર દેખાવો શરૂ કર્યા. આ ઘટનાની અન્ય લોકોને જાણ થતા જ જોત જોતામાં ભીડ અનેકગણી વધી ગઈ અને મોટી સંખ્યામાં લોકો સ્કૂલેથી બદલાપુર રેલવે સ્ટેશન પહોંચી ગયા અને રેલ રોકો આંદોલન શરૂ કર્યુ.
મુખ્ય શિક્ષિકા સસ્પેન્ડ
હજારોની સંખ્યામાં લોકો રેલવે ટ્રેક પર એક્ઠા થયા અને ટ્રેક પર બેસી સૂત્રોચ્ચાર કરવા લાગ્યા. જેના કારણે સેન્ટ્રલ રેલવેની લોકલ સેવા સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગઈ હતી. ઘટનાને ઉગ્ર બનતી જોઈ સ્કૂલ પ્રશાસને તાબડતોબ કાર્યવાહી કરતા મુખ્ય શિક્ષિકાને સસ્પેન્ડ કરી દીધા. જે બાદ પોલીસે લોકોને શાંતિ રાખવાની અપીલ કરતી જોવા મળી. સૂચના મળ્યા બાદ મહારાષ્ટ્ર સરકાર પણ એક્શનમાં આવી ગઈ છે. રાજ્યના શિક્ષણમંત્રી દીપક કેસરકરે જણાવ્યુ કે ખાતાકીય અધિકારીઓ સાથે બેઠક કરવામાં આવી છે અને સમગ્ર ઘટનાથી મુખ્યમંત્રીને પણ અવગત કરી દેવાયા છે.
અત્યાર સુધી ચાર લોકો સામે કાર્યવાહી, લાઠી ચાર્જમાં અનેક લોકો ઘાયલ
આ કેસમાં સ્કૂલને નોટિસ ઈશ્યુ કરાઈ છે. તેમણે જણાવ્યુ કે આ મામલે 4 લોકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, તો પીડિત બાળકીઓને ત્વરીત ન્યાય અપાવવા માટે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં સમગ્ર કેસ ચલાવવામાં આવશે. તેમણે આ કેસમાં પોલીસ ઓફિસરના ટ્રાન્સફર પર પણ આપત્તિ વ્યક્ત કરી છે અને સસ્પેન્ડ કરવાની માગ કરી છે, સાથે જ સવાલ ઉઠી રહ્યા છે કે અત્યાર સુધી કાર્યવાહી કેન ન કરવામાં આવી. આ તરફ ઉગ્ર થયેલા લોકોના રોષને શાંત પાડવા માટે પોલીસે લાઠીચાર્જ કરવાની ફરજ પડી. જેમા મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા છે. જો કે હજુ સુધી લોકોનો આક્રોશ ઓછો થવાનુ નામ નથી લઈ રહ્યો.