Budget 2024 : સરકાર ટેક્સના દરમાં ઘટાડો કરી શકે છે, 15 લાખ રૂપિયા સુધીની આવક પર રાહતના સંકેત
- GujaratOthers
- June 20, 2024
- No Comment
- 9
Budget 2024 : NDA સરકાર જુલાઈમાં રજૂ થનારા બજેટમાં ટેક્સના દરમાં ઘટાડો કરીને રાહતની જાહેરાત કરી શકે છે. રોયટર્સે સરકારી સૂત્રોને ટાંકીને આ સમાચાર આપ્યા છે.
રિપોર્ટ અનુસાર સૂત્રોએ જણાવ્યું કે નરેન્દ્ર મોદી સરકાર વપરાશ વધારવા માંગે છે અને આ માટે તે ટેક્સના દરમાં ઘટાડો કરવા વિચારી રહી છે જેથી લોકોને ખર્ચ કરવા માટે વધુ પૈસા મળે તેવા પ્રયાસ કરવામાં આવશે. જુલાઈમાં નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ વર્ષ 2025 ના નાણાકીય વર્ષ માટે સંપૂર્ણ બજેટ રજૂ કરશે.
પર્સનલ ટેક્સમાં ઘટાડાનો નિર્ણય લેવાશે
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પર્સનલ ટેક્સમાં ઘટાડાથી અર્થવ્યવસ્થામાં વપરાશ વધશે અને મધ્યમ વર્ગના પૈસાની પણ બચત થશે. રિપોર્ટ અનુસાર, વાર્ષિક 15 લાખ રૂપિયા સુધીની કમાણી કરનારાઓને ટેક્સમાં થોડી રાહત મળી શકે છે. આ રાહત કેટલી હશે તે અંગે સરકાર વિચારણા કરી રહી છે. તે જ સમયે, 10 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક ધરાવતા કરદાતાઓ માટે આવકવેરાના દર ઘટાડવા પર પણ વિચારણા કરવામાં આવી રહી છે.
વાર્ષિક 15 લાખ રૂપિયા કમાણી પર ટેક્સ રાહત માટે વિચારણા
વર્ષ 2023-24માં ભારતનો જીડીપી 8.2 ટકાના દરે વૃદ્ધિ પામશે. જો કે, વપરાશની ગતિ તેનાથી અડધી જ રહી છે. સરકારની રચના બાદ સરકાર વપરાશ વધારવા પર ભાર આપી રહી છે, વડાપ્રધાને જાહેરાત કરી હતી કે તેઓ મધ્યમ વર્ગની બચત વધારવા અને લોકોનું જીવનધોરણ સુધારવા માટે પગલાં લેશે. આ સિવાય રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે નવી ટેક્સ સિસ્ટમમાં પણ ફેરફારની શક્યતાઓ છે.
મંગળવારે એક મીડિયા રિપોર્ટમાં સરકારી સૂત્રોને ટાંકીને અહેવાલ આપ્યો હતો કે કેન્દ્ર સરકાર મધ્યમ વર્ગને રાહત આપવા માટે ટેક્સ સ્લેબને લઈને બજેટમાં મોટી જાહેરાત કરી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સરકાર ટેક્સ છૂટની મર્યાદા 3 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કરવા પર વિચાર કરી રહી છે. સૂત્રોએ માહિતી આપી છે કે હાલમાં આ રાહત ફક્ત તે કરદાતાઓને જ મળશે જેમણે નવી કર વ્યવસ્થા અપનાવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર બજેટ પસાર થયા બાદ આ અંગે અંતિમ નિર્ણય લેવામાં આવશે.
આ પણ વાંચો : RBIએ આર્થિક રાજધાનીની બેંકનું લાયસન્સ રદ કર્યું, શું લાખો ગ્રાહકો પરસેવાની કમાણી ગુમાવશે?