BCCI અને PCB વચ્ચે અમેરિકામાં બેઠક, ભારતીય ટીમના પાકિસ્તાન પ્રવાસને લઈ કરાઈ ચર્ચા
- GujaratOthers
- June 14, 2024
- No Comment
- 17
હાલમાં અમેરિકામાં T20 વિશ્વકપ ચાલી રહ્યો છે. આગામી વર્ષે ICC ચેમ્પિયન્સ ટ્રોફી રમાનાર છે. જેનું યજમાન પદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ પાસે છે. જોકે હવે સૌથી મોટો સવાલ પાકિસ્તાન માટે એ છે કે, ભારતીય ટીમ પાકિસ્તાનનો પ્રવાસ ખેડશે કે, કેમ. ભારત અને પાકિસ્તાન બંને દેશો વચ્ચેના સંબંધોને જોતા ICCની આ ટૂર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયાનો હિસ્સો લેવા અંગે સંશય છે. જોકે હાલ તો ભારતીય ક્રિકેટ બોર્ડ દ્વારા આ અંગે કોઈ જ સ્પષ્ટ મત દર્શાવ્યો નથી.
બીજી તરફ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ આ અંગે સંપૂર્ણ રીતે પ્રયાસો કરવા માટે મથી રહ્યું છે, કે ભારતીય ક્રિકેટ ટીમ પાકિસ્તાનનો પ્રવાસ ખેડે અને ચેમ્પિયન્સ ટ્રોફી રમે. જોકે આ માટે આ દરમિયાન જ અમેરિકામાં જ બંને દેશના ક્રિકેટ બોર્ડની મુલાકાત થઈ છે. T20 વિશ્વકપને લઈ બંને દેશના ક્રિકેટ બોર્ડની મુલાકાત શક્ય બની હતી.
પાકિસ્તાન પ્રવાસ ખેડશે ટીમ ઈન્ડિયા?
BCCI અને PCB એમ બંને બોર્ડના અધિકારીઓની મુલાકાતમાં ચેમ્પિયન્સ ટ્રોફી 2025ને લઈ પ્રયાસો કરવામાં આવ્યા હતા. મીડિયા રિપોર્ટ્સનુસાર પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધિકારીઓએ બતાવ્યું છે, કે બંને ક્રિકેટ બોર્ડના અધિકારીઓની અમેરિકામાં બેઠક થઈ હતી. જોકે આ બેઠક અનિર્ણિત રહી હતી.
મીડિયા રિપોર્ટ મુજબ પાકિસ્તાન બોર્ડ દ્વારા ટીમ ઈન્ડિયા પાકિસ્તાનનું મહેમાન બને એ માટે થઈને ભારતીય ક્રિકેટ બોર્ડને મનાવવા માટે શક્ય તમામ પ્રયાસો કર્યા છે. જોકે BCCIએ આ અંગેનો નિર્ણય લેવા માટે સંપૂર્ણ રીતે સરકાર પર નિર્ભર હોવાનું બતાવ્યું છે. બંને બોર્ડના અધિકારીઓની બેઠક દરમિયાન BCCI તરફથી કહેવામાં આવ્યું હતું કે, આ અંગે ભારત સરકાર દ્વારા જ અંતિમ નિર્ણય લેવામાં આવશે. એટલે કે ભારતીય ક્રિકેટ ટીમ પાકિસ્તાન પ્રવાસ ચેમ્પિયન્સ ટ્રોફી માટે ખેડવા માટે ભારત સરકાર અંતિમ નિર્ણય કરશે.
સુરક્ષાનો દર્શાવ્યો વિશ્વાસ
બેઠક દરમિયાન પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ દ્વારા ભારતીય ટીમની સુરક્ષાને લઈને પણ વાત કરવામાં આવી હતી. જે મુજબ PCBએ વિશ્વાસ આપવાનો પ્રયાસ કર્યો હતો કે, ટીમ ઈન્ડિયાની સુરક્ષાને લઈ તેઓ સંપૂર્ણ ખ્યાલ રાખશે. આ માટે ટીમ ઈન્ડિયાને રોકાણની વ્યવસ્થા લાહોર કરવા અંગેની વાત કરી હતી.
લાહોરમાં આયોજન કરવાને લઈ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ સાથે સાથે ભારતીય ક્રિકેટ ચાહકોને પણ ઓછો પ્રવાસ ખેડવો પડશે. એટલે કે, ભારતીય ક્રિકેટ ચાહકો વાઘા બોર્ડર દ્વારા સરળતાથી પાકિસ્તાન પ્રવાસ કરી શકશે. આમ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ચેમ્પિયન્સ ટ્રોફીને લઈ આયોજન કરવા માટે શક્ય તમામ પ્રયાસો કરવાની શરુઆત કરી છે. આ માટે ભારતીય ટીમ પાકિસ્તાન પહોંચે એ માટે વિશેષ રુપે ભારતીય બોર્ડને મનાવવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો: યાત્રાધામ શામળાજી મંદિર પરિસરમાં હવે લેસર શો નિહાળવા મળશે, કરાયું ટેસ્ટીંગ, જુઓ
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો