સ્વામીના નવરાત્રી અંગેના વાણીવિલાસથી સનાતન ધર્મોમાં આક્રોશ, VHPએ ગણાવ્યો પ્રસિદ્ધિ માટેનો બફાટ, શેરનાથબાપુએ કરી કાયદાકીય કાર્યવાહીની માગ
- GujaratOthers
- October 5, 2024
- No Comment
- 6
સ્વામીનારાયણ સંપ્રદાયના એક સંતે હિંદુ ધર્મના સૌથી મોટા નવરાત્રી પર્વ વિશે બેફામ વાણી વિલાસ કર્યો. નવરાત્રીને લવરાત્રી ગણાવતા તેમણે નાઈટ ફેશન શો ગણાવ્યો. સ્વામીના આ બકવાસ સામે સનાતન ધર્મના અગ્રણીઓની એક બાદ એક તીખી પ્રતિક્રિયા સામે આવી છે. જેમા સ્વામીનારાયણના વાણીવિલાસ કરનાર અનુપમ સ્વામી સામે કાર્યવાહી કરવાની પણ માગ ઉઠી છે. જુનાગઢના શેરનાથ બાપુએ જણાવ્યુ કે આવા માતાજીની ઉપાસનાના ચેતનાના આવા મોટા પર્વ સામે વાણીવિલાસ કરનાર સામે કાર્યવાહી થવી જોઈએ. આ અયોગ્ય બાબત છે. શેરનાથ બાપુએ અનુપમ સ્વરૂપ સ્વામિની આકરી ટીકા કરી છે.
આ તરફ વિશ્વ હિંદુ પરિષદના નેતા અશોક રાવલે પણ જવાબી પ્રતિક્રિયા આપતા જણાવ્યુ કે સંતોએ મીડિયામાં ચમકવા આવો બફાટ ન કરવો જોઈએ. નવરાત્રી એ મા ની આરાધનાનો જ પર્વ છે. સંતોએ ઉત્સાહમાં આવી જઈને ગમે તેવા નિવેદનો ન કરવા જોઈએ, વડવાઓએ આવા સંતોને સમજણ આપવી જોઈએ. મહત્વનું છે, સ્વામિનારાયણ સંપ્રદાયના અનુપમ સ્વરૂપ સ્વામીએ નવરાત્રિ માટે ‘લવરાત્રિ’ જેવો શબ્દ વાપરતા હવે વિશ્વ હિન્દુ પરિષદ મેદાને છે અને આવા સંતોને સમજણ આપવાની વાત કરી છે.
અનુપમ સ્વામીના બકવાસ પર જ્યોતિર્નાથ સ્વામીએ જણાવ્યુ કે સ્વામીનારાયણ સંપ્રદાય અવારનવાર સનાતન પ્રહાર કરતો આવ્યો છે. આ સનાતન ધર્મના મૂળભૂત સિદ્ધાંતોને તોડવાનું ષડયંત્ર છે. એમની તો વિકૃતિ જ છે. અનેક લોકો પર કેસ થયા છે અને હિંદુ ધર્મના દેવી દેવતાઓના અપમાન અંગે અમે હાઈકોર્ટમાં પણ જવાના છીએ.
તો બ્રહ્મ સમાજના કન્વીનર યજ્ઞેશ દવેએ પણ અનુપમ સ્વામીના નિવેદન સામે આકરી પ્રતિક્રિયા આપી. તેમણે જણાવ્યુ કે બ્રહ્મ સમાજ તેમના નિવેદનને વખોડે છે. અમે તમામ સંતોનું સન્માન કરીએ છીએ. બહેન દીકરીઓ કે નવરાત્રીને લઈને કોઈએ બફાટ ન કરવો જોઈએ. આવો બફાટ કરવાનો કોઈ અધિકાર નથી.આ તરફ શક્તિની ઉપાસનાના તહેવાર પર કરાયેલા બેફામ બફાટને લઈને વડોદરાની બહેનોએ પણ નારાજગી વ્યક્ત કરી અને સ્વામીને નિવેદન પરત લઈ માફી માગવાની માગ કરી છે.