સુરતમાં નવરાત્રિને લઈને પોલીસે જાહેર કર્યુ ખાસ નોટિફિકેશન, રાત્રે 12 વાગ્યા સુધી વગાડી શકાશે લાઉડ સ્પીકર, શેરી ગરબા માટે કોઈ ટાઈમ લિમીટ નહીં- વાંચો
- GujaratOthers
- September 23, 2024
- No Comment
- 13
નવરાત્રીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. સુરત શહેરમાં નવરાત્રીના મોટા મોટા ડોમમાં આયોજનો થતા હોય છે આ ઉપરાંત શેરી ગરબામાં પણ રમઝટ ઝામતી હોય છે ત્યારે આ વર્ષે સુરત પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને કોઈ પણ અનિચ્છનીય બનાવ ના બને તે માટેની તૈયારીઓ કરી લેવામાં આવી છે. સુરત શહેરમાં લાઉડ સ્પીકર 12 વાગ્યા સુધી વગાડી શકાશે. જયારે શેરી મહોલ્લામાં ઢોલ નગારા સાથે ગવાતા ગરબા પર કોઈ ટાઈમ લિમિટ નથી. આ ઉપરાંત શહેરમાં પોલીસની શી ટીમ અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ પહેરવેશમાં ફરજ બજાવશે. આ ઉપરાંત પોલીસની અલગ અલગ ટીમો ઉપરાંત બાઇક પેટ્રોલિંગ તેમજ બોડીવોન કેમેરા સાથે પોલીસ ફરજ બજાવશે.
આ વર્ષે સુરક્ષાના ભાગરૂપે ઘોડે સવારો તેમજ ડ્રોન સર્વેલન્સનો પણ ઉપયોગ કરાશે. રાજકોટ ગેમઝોનની ઘટનાને ધ્યાને લઈને મોટા મોટા ડોમમાં આયોજિત થતી નવરાત્રીઓમાં તમામ સ્ટ્રક્ચર, પાર્કિંગ, ફાયર સહીતની તમામ પ્રકારની ચકાસણી બાદ જ મંજુરી આપવામાં આવશે. મહત્વનું છે કે ગયા વર્ષે 17 આયોજકોએ મંજૂરી લીધી હતી. જયારે આ વર્ષે 13 આયોજકોની અરજી મળી છે. આ ઉપરાંત મોડી રાત્રે મહિલાઓ ખાસ કરીને હેલ્પલાઇન નમ્બર પર ફોન કરીને મદદ માગશે તો તેમની મદદ પોલીસ દ્વારા કરવામાં આવશે.
સ્પેશીયલ બ્રાંચના ડીસીપી હેતલબેન પટેલએ જણાવ્યું હતું કે નવરાત્રીમાં ખુબ મોડે સુધી શેરી-ગરબાઓ ચાલતા હોય છે. ઘોડે સવારોની ટીમ પણ આ વર્ષે તૈનાત રહેશે. આ ઉપરાંત ડ્રોન સર્વેલન્સનો પણ આ વર્ષે ઉપયોગ કરવામાં આવશે. રાજકોટની ગેમઝોનની ઘટનાને ધ્યાને રાખીને કોઈ પણ કેમ્પસ કારણ કે સુરત શહેરમાં નવરાત્રીઓ મોટા મોટા ડોમમાં બંધ સ્ટ્રક્ચરની અંદર આયોજિત થતી હોય છે, ત્યારે ત્યાં કેપીસીટી કેટલી છે ત્યાં પાર્કિંગની કેપીસીટી કેટલી છે, ત્યાં ઈમરજન્સીના પ્લાનિંગ શું છે, ફાયરના પ્લાનિંગ શું છે આ બધું જ ધ્યાનમાં રાખીને મંજુરી આપવામાં આવશે. એમના સ્ટ્રકચર સ્ટેબીલીટીના સર્ટિફિકેટને વ્યવસ્થિત ચકાસણી કરવામાં આવશે અને ત્યારબાદ જ એમને લાયસન્સ મળશે.
વધુમાં જણાવ્યું હતું કે ગત વર્ષે 17 જેટલા મોટા ગરબા આયોજકોએ મંજુરી લીધી હતી. આ વર્ષે 13 જેટલા મોટા આયોજકોની હાલ સુધી અરજીઓ મળી ચુકી છે અને એની કામગીરી હાલમાં ચાલી રહી છે. શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ક્વિક રીસ્પોન્સ ટીમ, ક્રાઈમની ટીમો, મહિલાઓની શી ટીમ આ બધા જ તૈનાત રહેશે, જ્યાં જ્યાં મોટી નવરાત્રીનું આયોજન છે ત્યાં પણ શી ટીમ ફરજ બજાવશે, તેઓ પરંપરાગત વેશભૂષામાં પણ રહેશે. આ ઉપરાંત મોડી રાતે કોઈ પણ મહિલા કે કોઈને પણ ટ્રાન્સપોર્ટેશન કે કોઈ સુવિધાની જરૂર હોય તો 100 નબર અથવા 181 મહિલા હેલ્પ લાઈન પર સંપર્ક કરી શકશે. તેઓને પુરતી મદદ મળી રહે તે માટેની અમારી કોશિશ રહેશે. કમાન્ડ એન્ડ કંટ્રોલમાં અમારી ટીમ 24 કલાક તૈનાત રહેશે.