સસ્પેન્ડેડ TPO સાગઠિયાના “ગોડફાધર”કોણ ? જેલમાં સાગઠિયાને ફોડવાનો પ્રયાસ કરાયો હોવાના મેવાણીના આક્ષેપથી ખળભળાટ
- GujaratOthers
- June 21, 2024
- No Comment
- 13
રાજકોટના ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મામલે પોલીસે રાજકોટ મહાનગરપાલિકાના સસ્પેન્ડ ટીપીઓ એમ.ડી.સાગઠિયા સહિત 12 લોકોની ધરપકડ કરવામાં આવી છે. છેલ્લા 15 દિવસથી વધારે સમયથી ચાલતી તપાસમાં સાગઠિયા પછી કોણ ? તે અંગે કોઇ જ જવાબ આપી રહ્યા નથી. પોલીસ પણ સાગઠિયાએ કોઇપણ પદાધિકારીના નામ આપ્યા નથી તેવું કહીને તપાસ આટલેથી પૂર્ણ થઇ હોવાનો દાવો કરી રહ્યા છે. જો કે સવાલ એ છે કે શું આટલા મોટા અગ્નિકાંડમાં રાજકોટના પદાધિકારીની કોઇ ભૂમિકા નથી ? આ ચર્ચાઓ વચ્ચે જિગ્નેશ મેવાણીના આક્ષેપથી રાજકારણ ગરમાયું છે. વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ દાવો કર્યો છે કે રાજકોટના એક પૂર્વ ધારાસભ્યએ જેલમાં સાગઠિયાનો સંપર્ક કરીને તેને ફોડવાની કોશિશ કરી હતી ત્યારે સવાલ એ છે કે શું સાગઠિયાએ તેના ગોડફાઘરને બચાવી લીધા છે ?
પૂર્વ ધારાસભ્યએ સાગઠિયાને ફોડવાની કોશિશ કરી-જિગ્નેશ મેવાણી
એક તરફ રાજ્ય સરકાર દ્રારા ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડને લઇને જે SITની રચના કરવામાં આવી હતી. તેનો રિપોર્ટ રાજ્ય સરકારને સોંપવાની પ્રક્રિયા અંતિમ તબક્કામાં છે. ત્યારે જિગ્નેશ મેવાણીએ દાવો કર્યો છે કે સરકાર આ કેસમાં કુલડીમાં ગોળ ભાંગી રહી છે. સાગઠિયા જેવી માછલી પર દોષનો ટોપલો ઢોળીને મોટા મગરમચ્છોને બચાવવામાં આવી રહ્યા છે. મેવાણીએ વઘુમાં કહ્યું હતું કે રાજકોટ ભાજપના એક પૂર્વ ધારાસભ્યએ જેલમાં સાગઠિયાનો સંપર્ક કર્યો હતો અને તેને ફોડવાની કોશિશ કરી હતી. મેવાણીએ સરકારને પડકાર ફેંકતા કહ્યું હતું કે જો સરકારનુ હ્રદય ચોખ્ખું હોય તો આ કેસની તટસ્થ તપાસ થવી જોઇએ અને પ્રમાણિક IPS અધિકારીઓને તપાસ સોંપવામાં આવે.
શું નેતાઓને બચાવવા એક ઓફિસમાં રણનિતી ઘડાઇ ?
જીગ્નેશ મેવાણીના આક્ષેપથી રાજકોટમાં રાજકારણ ગરમાયું છે. શહેરમાં ચર્ચાતી વિગત પ્રમાણે સાગઠિયા સામે કાર્યવાહી થશે તેવો કેટલાક લોકોને પહેલાથી જ અંદાજો આવી ગયો હતો અને એટલા માટે જ રાજકોટના અમીન માર્ગ પર એક ઓફિસમાં નેતાઓને બચાવવા માટે બેઠકનું આયોજન કરાયું હતું. સાગઠિયાની ધરપકડ થયા બાદ તેને કોઇ પદાધિકારી કે નેતાના નામ જાહેર ન કરવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. એવું પણ ચર્ચાઇ રહ્યું છે કે સાગઠિયાને એવી પણ લાલચ આપવામાં આવી છે કે રાજકોટના એક નેતા ટૂંક સમયમાં પ્રદેશ કક્ષાએ મોટા પદ પર આવશે ત્યારે તેને આ કેસમાં બચાવીને જલદીમાં જલદી બહાર કાઢવામાં આવશે. ત્યારે સવાલ એ છે કે શું સાગઠિયાએ આ જ લાલચને કારણે મોટા મગરમચ્છોને આ કેસમાં બચાવી લીધા છે.
સાગઠિયા પર તેના ગોડફાઘરના આર્શિવાદ
સસ્પેન્ડેડ ટીપીઓ એમ.ડી.સાગઠિયા છેલ્લા 29 વર્ષથી રાજકોટ મહાનગરપાલિકામાં ફરજ બજાવે છે અને છેલ્લા 9 વર્ષથી તેનો આરએમસીમાં દબદબો જોવા મળ્યો છે. સાગઠિયાનો કાર્યકાળ ભ્રષ્ટ્રાચારથી ખરડાયેલો છે. તે અપ્રમાણસર મિલકત અંગે નોંધાયેલી ફરિયાદ પરથી સ્પષ્ટ થાય છે ત્યારે કોના આર્શિવાદથી સાગઠિયા બેફામ રૂપિયા પડાવતો હતો તે સવાલ છે. સાગઠિયાના ભ્રષ્ટ્રાચારની વાત કરવામાં આવે તો જમીનમાં ફેરબદલ કરવી, ટીપી સ્કિમ લાગુ કરતા પહેલાનું સેટિંગ,સૂચિતમાં બાંધકામ,ગેરકાયદેસર બાંધકામ સહિતના મુદ્દે રૂપિયા કટકટાવતો હતો.એવી પણ ચર્ચાઓ છે કે સાગઠિયાની અનેક નેતાઓ અને પદાધિકારીઓ સાથે સાંઠગાઠ છે. સાગઠિયાને ઇન્ચાર્જ ટીપીઓમાંથી કાયમી TPO પણ એક પૂર્વ ધારાસભ્યની ભલામણથી કરાઈ હોવાનું ચર્ચાઇ રહ્યું છે. રાજકોટ મહાનગરપાલિકામાં સર્વોચ્ચ સ્થાન પર ચૂંટાયેલી રાજકીય બોડી હોય છે ત્યારે નેતાઓના આર્શિવાદ વગર આટલું મોટું સામ્રાજ્ય શક્ય નથી.
કોને બચાવી રહ્યા છે સાગઠિયા ?
એક વાત સ્પષ્ટ છે. આ કેસમાં વોર્ડ નંબર 13ના કોર્પોરેટર નિતીન રામાણી સિવાય કોઇપણ નેતાની પુછપરછ થઇ નથી અને રામાણી પણ મીડિયા સામે આવ્યો હતો ત્યારે શું સાગઠિયા અને સરકાર બંન્ને આ કેસમાં નેતાઓને બચાવી રહી છે.સરકાર ટૂંક સમયમાં સીટના રિપોર્ટને જાહેર કરશે ત્યારે આ અંગે સાગઠિયાને પોષણ આપનાર નેતાઓ સામે કોઇ કાર્યવાહી કરે છે કે કેમ તે જોવાનું રહ્યું.