![સરકારમાં કેબિનેટ મંત્રી, સ્વતંત્ર હવાલો ધરાવતા રાજ્યકક્ષાના મંત્રી અને રાજ્યકક્ષાના મંત્રી વચ્ચે શું તફાવત હોય છે ?](https://topsecretnewspaper.com/wp-content/uploads/2024/06/196819-942276195662566171133931-710327735440945828933-839307874287284034.jpg)
સરકારમાં કેબિનેટ મંત્રી, સ્વતંત્ર હવાલો ધરાવતા રાજ્યકક્ષાના મંત્રી અને રાજ્યકક્ષાના મંત્રી વચ્ચે શું તફાવત હોય છે ?
- GujaratOthers
- June 11, 2024
- No Comment
- 13
![સરકારમાં કેબિનેટ મંત્રી, સ્વતંત્ર હવાલો ધરાવતા રાજ્યકક્ષાના મંત્રી અને રાજ્યકક્ષાના મંત્રી વચ્ચે શું તફાવત હોય છે ?](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/06/First-cabinet-meeting-of-Prime-Minister-Modi-government.jpg)
નરેન્દ્ર મોદીની આગેવાનીમાં રચાયેલી એનડીએની સરકારમાં મંત્રીમંડળના સભ્યોએ શપથ લીધાના બીજા દિવસે સાંજે એટલે કે ગઈકાલ સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, તમામ મંત્રીઓને ખાતાઓની ફાળવણી કરી હતી. રવિવારે યોજાયેલ એનડીએ સરકારની શપથવિધિમાં, 30 કેબિનેટ કક્ષાના પ્રધાન, 5 સ્વતંત્ર હવાલો ધરાવતા રાજ્યકક્ષાના પ્રધાન અને રાજ્યકક્ષાના પ્રધાન તરીકે 36 સાંસદોએ શપથ લીધા હતા. ત્યારે એ સવાલ સૌ કોઈને થતો હશે કે, કેબિનેટકક્ષા, સ્વતંત્ર હવાલો ધરાવતા રાજ્યકક્ષાના પ્રધાન અને રાજ્યકક્ષાના પ્રધાન વચ્ચે શું તફાવત હોય છે. આ ત્રણેય પ્રકારના પ્રધાનોને કેવા પ્રકારની જવાબદારી અને અધિકાર આપવામાં આવતા હોય છે.
મંત્રીમંડળમાં ત્રણ પ્રકારના મંત્રીઓના સ્તર હોય છે. જેમાં કેબિનેટ કક્ષાના મંત્રી હોય છે. બીજા જે તે વિભાગનો સ્વતંત્ર હવાલો ધરાવતા રાજ્યકક્ષાના મંત્રી હોય છે અને ત્રીજા રાજ્યકક્ષાના મંત્રીઓ હોય છે. આ ત્રણેય પ્રકારના મંત્રીઓને જે તે કક્ષાના બનાવવામાં આવેલા મંત્રી મુજબ અધિકારો અને જવાબદારીઓ સોંપવામાં આવતી હોય છે.
પીએમ પછીના ક્રમાંકે કેબિનેટ કક્ષાના મંત્રી
કેન્દ્ર સરકારમાં, વડા પ્રધાન પછી, મંત્રીમંડળમાં સૌથી શક્તિશાળી એવા કેબિનેટ કક્ષાના મંત્રીઓ હોય છે. જેઓ સીધા વડા પ્રધાનને તેમને ફાળવેલા વિભાગને અને સોપાયેલ જવાબદારીઓ અંગેનો રિપોર્ટ કરતા હોય છે. કેબિનેટ કક્ષાના મંત્રીઓને એક કરતા વધુ મંત્રાલયો આપી શકાય છે, તેમની પાસે તેમને ફાળવેલા વિભાગોની સમગ્ર જવાબદારી હોય છે. આ કેબિનેટકક્ષાના મંત્રીઓ માટે કેબિનેટની બેઠકોમાં હાજર રહેવું ફરજિયાત હોય છે. કેબિનેટની બેઠકમાં સરકાર મહત્વપૂર્ણ નિર્ણયો લેતી હોય છે. સામાન્ય રીતે સિનિયર સાંસદોને અથવા તો જે તે ક્ષેત્રના નિષ્ણાંત હોય તેવા સાંસદને કેબિનેટ કક્ષાના મંત્રી બનાવવામાં આવે છે.
વિભાગનો સ્વતંત્ર હવાલો ધરાવતા રાજ્યકક્ષાના મંત્રી
કેબિનેટ કક્ષાના મંત્રી પછી, સ્વતંત્ર હવાલો ધરાવતા રાજ્યકક્ષાના મંત્રી આવે છે. સ્વતંત્ર હવાલો ધરાવતા રાજ્યકક્ષાના મંત્રી પણ, તેમને સોંપવામાં આવેલા વિભાગો અને જવાબદારીઓ અંગેનો રિપોર્ટ સીધા વડા પ્રધાનને કરતા હોય છે. સ્વતંત્ર હવાલો ધરાવતા રાજ્યકક્ષાના મંત્રીઓને, સોંપવામા આવેલા વિભાગનો સ્વતંત્ર હવાલો આપવામાં આવેલો હોય છે. તેમને ફાળવેલા મંત્રાલયની સમગ્ર જવાબદારી સ્વતંત્ર હવાલો ધરાવતા રાજ્યકક્ષાના મંત્રીઓ પાસે જ રહે છે. સ્વતંત્ર હવાલો ધરાવતા રાજ્યકક્ષાના મંત્રીઓ મોટા ભાગે કેબિનેટની બેઠકોમાં હાજરી આપતા નથી, પરંતુ જો તેમના વિભાગને લગતા જરૂરી નિર્ણયો લેવાના હોય અથવા તેમના વિભાગને લગતી બાબતોને આધારે અન્ય કોઈ નિર્ણયો લેવાનો હોય તો તેમને કેબિનેટની બેઠકમાં હાજર રહેવા માટે કહેવામાં આવે છે. જ્યા તેમના વિભાગને લગતા નિર્ણય અંગે પૂરક અને જરૂરી વિગતો કેબિનેટની બેઠકમાં પૂરી પાડી શકે.
રાજ્યકક્ષાના મંત્રીઓ
મંત્રીમંડળમાં મંત્રીઓનુ એક સ્તર રાજ્યકક્ષાના મંત્રીઓનું પણ છે. રાજ્યકક્ષાના મંત્રીઓ, કેબિનેટકક્ષાના મંત્રીઓની મદદરૂપ રહેતા હોય છે. રાજ્યકક્ષાના મંત્રીઓ સીધા જ વડા પ્રધાનને નહીં, પરંતુ તેમને ફાળવેલા વિભાગના કેબિનેટ પ્રધાનને રિપોર્ટ કરતા હોય છે. સામાન્ય રીતે એવુ માનવામાં આવે છે કે, જે તે મંત્રાલયના કદના આધારે, એક કેબિનેટ કક્ષાના મંત્રીની મદદે રાજ્ય કક્ષાના એક કે બે મંત્રીઓની વરણી કરવામાં આવતી હોય છે. ગૃહ, આરોગ્ય, શિક્ષણ, નાણા સહિત ઘણા એવા મોટા મંત્રાલયો છે જેમા અનેક વિભાગોનો સમાવેશ થતો હોય છે. આવા એક કરતા વધુ વિભાગોવાળા મંત્રાલયમાં વિવિધ વિભાગોની જવાબદારીઓ રાજ્યકક્ષાના મંત્રીઓને વહેંચવામાં આવે છે. જેથી મંત્રાલયની રોજબરોજની કામગીરી કરવામાં સરળતા રહે.