![રાજકોટમાં સર્જાયેલો અગ્નિકાંડ દુર્ઘટના નથી પરંતુ તંત્રએ સર્જેલો હત્યાકાંડ છે, SITના વચગાળાના રિપોર્ટમાં થયો મોટો ખુલાસો](https://topsecretnewspaper.com/wp-content/uploads/2024/06/195867-640355535046037666978860522-051957606919554968465842971-736721442830.jpg)
રાજકોટમાં સર્જાયેલો અગ્નિકાંડ દુર્ઘટના નથી પરંતુ તંત્રએ સર્જેલો હત્યાકાંડ છે, SITના વચગાળાના રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
- GujaratOthers
- June 5, 2024
- No Comment
- 17
રાજકોટ અગ્નિકાંડ મુદ્દે IPS સુભાષ ત્રિવેદીના વડપણ હેઠળ રચાયેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ SITએ વચગાળાનો તપાસ રિપોર્ટ સરકારને સોંપ્યો છે અને આ રિપોર્ટમાં અનેક ચોંકાવનારા ઘટસ્ફોટ થયા છે. SITએ 10 મુદ્દાઓને આધારે રાજ્ય સરકારને પ્રાથમિક અહેવાલ સોંપ્યો છે.
જેમાં તેમણે અગ્નિકાંડ માટે રાજકોટ મહાનગરપાલિકા, માર્ગ અને મકાન વિભાગ તેમજ પોલીસની નિષ્કાળજી જવાબદાર હોવાનું જણાવ્યું છે. નીતિ નિયમોને ચાતરીને તંત્ર કેવી રીતે ગેમ ઝોનના માલિકો પ્રત્યે મહેરબાન રહ્યું તે એસઆઇટીના વચગાળાના રિપોર્ટમાં પુરવાર થયું છે.
SITએ તેમના રિપોર્ટમાં જણાવ્યું છે કે સમગ્ર ઘટનામાં પ્રાથમિક રીતે પોલીસ વિભાગ, રાજકોટ મ્યુ. કોર્પો, રાજકોટ માર્ગ અને મકાન વિભાગની ગંભીર બેદરકારી અને નિષ્કાળજી સામે આવી છે. પોલીસ વિભાગના લાયસન્સ શાખાના તથા તાલુકા પોલીસ સ્ટેશનના PIએ કોઈપણ પ્રકારની ખરાઈ કર્યા વગર પરફોર્મન્સ લાયસન્સ આપ્યું હોવાનો રિપોર્ટમાં ઉલ્લેખ કરાયો છે. તપાસ દરમિયાન RMCના ટાઉન પ્લાનિંગ વિભાગ અને ફાયર વિભાગની સીધી રીતે ગંભીર બેદરકારી સામે આવી છે.
ત્રણ વર્ષથી ગેમ ઝોન ચાલતું હોવા છતાં પણ કોઈ પગલા ન લેવાયા હોવાનું રિપોર્ટમાં જણાવાયું છે. ટીઆરપી ગેમઝોન રહેણાંક હેતુ માટે બિન ખેતીની જમીન હોવા છતાં ત્યાં શરૂ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ગેમઝોનમાં એન્ટ્રી અને એક્ઝિટ માટે માત્ર એક જ રસ્તો હતો અને તે પણ શેડમાં બાંધેલો હતો. આથી ઇમરજન્સી દરમિયાન શું કરવું તેની કોઈ પણ વ્યવસ્થાઓ કરવામાં આવી ન હતી.
બીજી તરફ ફાયર સિસ્ટમમાં પણ પાણીનું કનેક્શન આપ્યું જ ન હોવાનું પણ સામે આવ્યું છે. આખા ગેમ ઝોનમાં એક માત્ર ડ્રાય કેમિકલ પાવડર એક્સટિંગ્વિશર હોવાનો પણ સીટ રિપોર્ટમાં ખુલાસો થયો છે. તો ગો કાર્ટિંગની જગ્યા પાસે મોટી માત્રમાં ફ્યુલ ઇન્ટેક મળ્યા હોવાનો પણ SIT રિપોર્ટમાં ઉલ્લેખ કરાયો છે.