ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ કોણ ? શું સ્મૃતિ ઈરાની બનશે પહેલી મહિલા રાષ્ટ્રીય અધ્યક્ષ ? મોદી-શાહ સાથે ચર્ચા કરીને સંઘ લેશે આખરી નિર્ણય
- GujaratOthers
- June 12, 2024
- No Comment
- 4
કેન્દ્રમાં પ્રધાન બનેલા જે પી નડ્ડાના સ્થાને ભાજપના નવા અધ્યક્ષ કોણ ? આ સવાલ હવે રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યો છે. ભાજપ અધ્યક્ષ પદની રેસમાં અનેક નામો ચાલી રહ્યા છે. કોણ રાષ્ટ્રીય અધ્યક્ષ બનશે તેના નામ પણ વહેતા થયા છે. પરંતુ, સૌથી મોટી વાત એ છે કે રાષ્ટ્રીય અધ્યક્ષ માટે સંઘનું આ વખતે કેટલુ ચાલશે. તાજેતરમાં જ સંઘના વડા મોહન ભાગવતે, જે પ્રકારે સાંકેતિક નિવેદન કર્યું છે તેના પરથી માનવામાં આવી રહ્યું છે કે, પાર્ટીની સંગઠનાત્મક રચનામાં હવે ભાજપ કરતા સંઘનું ચાલશે.
નરેન્દ્ર મોદીની આગેવાની વાળી એનડીએ સરકારે ત્રીજી વખત શપથ લીધા બાદ ભાજપના નવા અધ્યક્ષને લઈને ચર્ચા શરૂ થઈ ગઈ છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાને મોદી મંત્રીમંડળમાં આરોગ્ય પ્રધાન બનાવ્યા બાદ, હવે પક્ષના રાષ્ટ્રીય પ્રમુખ કોણ બનશે તેની અટકળોએ જોર પકડ્યું છે. 2019ની લોકસભા ચૂંટણી પછી, જગત પ્રકાશ નડ્ડા જાન્યુઆરી 2020માં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા હતા.
ભાજપના નીતિ નિયમો અનુસાર પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે નડ્ડાનો કાર્યકાળ, જાન્યુઆરી 2023માં સમાપ્ત થયો હતો. જોકે, લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને તેમનો કાર્યકાળ જૂન 2024 સુધી લંબાવવામાં આવ્યો હતો. ચૂંટણી બાદ નડ્ડાને નરેન્દ્ર મોદી સરકારની કેબિનેટમાં સ્થાન આપવામાં આવ્યું છે. એવું માનવામાં આવે છે કે ભાજપની એક વ્યક્તિ એક પદ નીતિ હેઠળ, પાર્ટી ટૂંક સમયમાં તેમના નવા અધ્યક્ષ નક્કી કરશે. આરએસએસના વડા મોહન ભાગવતના તાજેતરના નિવેદન પછી માનવામાં આવે છે કે હવે સંઘ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ પદે નરેન્દ્ર મોદી અને અમિત શાહ સાથે ચર્ચા કર્યા બાદ નામ સુચવશે જે મોટાભાગે પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ બનશે.
વિનોદ તાવડે, અનુરાગ ઠાકુર, ઓમ માથુર અને સ્મૃતિ ઈરાનીના નામ ચર્ચામા
જે પી નડ્ડા બાદ શરૂઆતમાં મધ્યપ્રદેશના પૂર્વ સીએમ શિવરાજ સિંહ ચૌહાણ, કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ અને હરિયાણાના પૂર્વ સીએમ મનોહર લાલ ખટ્ટરના નામ પણ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષના પદ માટે ચર્ચામાં હતા. પરંતુ, આ ત્રણેય વ્યક્તિનો મોદી મંત્રીમંડળમાં સમાવેશ થયા બાદ હવે તેમના નામનો અંત આવ્યો છે. હવે, પાર્ટીના વર્તમાન રાષ્ટ્રીય મહામંત્રી વિનોદ તાવડે, અનુરાગ ઠાકુર, ઓમ માથુર, ઉપરાંત સ્મૃતિ ઈરાનીના નામ પણ ભાજપ અધ્યક્ષ પદની રેસમાં આગળ છે.
ઓમપ્રકાશ માથુર નરેન્દ્ર મોદીના વિશ્વાસુ છે તેઓ ગુજરાત ભાજપના પ્રભારી રહી ચૂક્યા છે. તો સ્મૃતિ ઈરાની પણ એટલા જ વિશ્વાસુ છે. જો સંઘની સહમતી મળે તો સ્મૃતિ ઈરાની ભાજપના ઈતિહાસમાં સૌ પ્રથમ મહિલા તરીકે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બની શકે છે. અનુરાગ ઠાકુર યુવા નેતા છે. તેમને ભાજપ યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકેનો અનુભવ છે. ભાજપ પણ ઈચ્છે છે કે, દેશના યુવાનોને આકર્ષવા માટે પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે યુવા ચહેરાને પ્રાધાન્ય આપવું જોઈએ. જ્યારે વિનોદ તાવડે મહારાષ્ટ્રમાંથી આવે છે અને તેમણે પક્ષના રાષ્ટ્રીય મહામંત્રી તરીકેની કામગીરી સૂપેરે નિભાવી જાણી છે. આથી સંઘ અને ભાજપ બન્ને તાવડેના નામ પર કળશ ઢોળે તો નવાઈ નહી.
ચૂંટણી પરિણામ બાદ મોહન ભાગવતનું સુચક નિવેદન
મોહન ભાગવતે લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ, તાજેતરમાં એક સુચક નિવેદન આપ્યું હતું કે સાચો સેવક ગરિમાનું પાલન કરે છે. સાચા અર્થમાં સેવક કહેવાનો અધિકાર ફક્ત તે વ્યક્તિને જ છે, જેનામાં મેં શું કર્યું છે તેની કોઈ ભાવના ના હોય, અહંકાર ના હોય. એવું માનવામાં આવે છે કે ભાગવતનું આ નિવેદન પાર્ટી નેતૃત્વને લઈને ખૂબ જ મહત્વપૂર્ણ છે. આવી સ્થિતિમાં આગામી સમયમાં પાર્ટી અધ્યક્ષની ચૂંટણીમાં સંઘની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.