પોરબંદરમાં પાટીલે એવું કેમ કહ્યું કે રાજ્યસભાના સાંસદ રામભાઇ નેતા ક્યાંના રાજકોટના કે પોરબંદરના ? જુઓ Video
- GujaratOthers
- September 16, 2024
- No Comment
- 11
આ મુદ્દો એટલા માટે ઉઠ્યો જ્યારે પોરબંદરમાં શહેર ભાજપ કાર્યાલયના ઉદ્દધાટન કાર્યક્રમમાં જ્યારે ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી સી આર પાટીલે સંબોધન કર્યું, ત્યારે રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા અંગે હળવી ટકોર કરી હતી. પાટીલે કહ્યું હતું કે રાજ્યસભાના સાંસદ હવે તે પોરબંદરના છે કે રાજકોટના તે નક્કી કરીને કેજો !
આ શબ્દોના ઉચ્ચાર થતા જ સભાખંડમાં લોકો હસી પડ્યા હતા. રામ મોકરિયાની દુખતી નસ પર પાટીલે હાથ મુકી દીધો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. રામ મોકરિયાએ પણ પાટીલના સવાલનો પલટવાર કર્યો હતો અને કહ્યું હતું કે તમે આજે નક્કી કરીને જજો ! હાસ્યથી શરૂ થયેલો આ સંવાદ થોડો ગંભીર લાગતા સી આર પાટીલે રામ મોકરિયાને રાજ્યસભા એટલે ઉપલા ગૃહના સાંસદ એમ કહીને ગુજરાતના નેતા તરીકે સંબોધન કર્યું હતું.
રાજકોટવાળા અને પોરબંદરવાળા બંન્ને ના પાડે છે !-રામ મોકરિયા
આટલેથી વાત અટકી ન હતી. રામ મોકરિયાએ સી આર પાટીલને પણ હળવી શૈલીમાં પોતાની રજૂઆત સ્ટેજ પરથી જ કરી દીધી હતી. રામ મોકરિયાએ કહ્યું હતું કે તમે નક્કી કરજો કે હું ક્યાંનો નેતા છું ? રાજકોટ કે પોરબંદર કારણ કે મને રાજકોટ કે પોરબંદર બંન્ને નથી ગણતા !
હળવી શૈલીમાં થયેલી આ રજૂઆત ભાજપમાં રામ મોકરિયાના સ્થાનને લઇને મોટી વાત હતી કારણ કે રાજ્યસભાના સાંસદ બન્યા ત્યારથી રામભાઇ આ યાતના ભોગવી રહ્યા હોય તેવું સામે આવ્યું છે. રાજકોટ ભાજપ સંગઠન તેઓ પોરબંદરના પ્રાથમિક સભ્ય છે તેવું કહીને તેને પોરબંદરના નેતા ગણાવી રહ્યા છે જ્યારે પોરબંદરના ભાજપના નેતાઓ રામ મોકરિયાએ તેની કર્મભુમિ રાજકોટ બનાવી હોવાનું કહીને તેનાથી અંતર રાખી રહ્યા છે.
રાજ્યસભાના સાંસદ બન્યા ત્યારથી ક્ષેત્રને લઇને વિવાદ સર્જાયો છે.
સામાન્ય રીતે કોઇ રાજ્યસભાના સાંસદ તરીકે વિજેતા બને છે, ત્યારે સ્થાનિક કાર્યકર્તાઓ તેનું ભવ્ય સ્વાગત કરે છે તેનો સન્માન કાર્યક્રમ યોજતા હોય છે, પરંતુ રામભાઇ માટે સ્થિતિ અલગ હતી. જ્યારે તેઓ રાજ્યસભાના સાંસદ તરીકે વિજેતા બન્યા ત્યારે તેઓ રાજકોટમાં હતા..
આમંત્રણ આપવા અંગે અનેક વખત વિવાદ સર્જાયો
શહેર ભાજપ સંગઠન દ્રારા તેઓનું સ્વાગત કે સન્માન કાર્યક્રમ રાખવામાં આવ્યું ન હતું એટલું જ નહિ તેઓ પોરબંદરના કાર્યકર્તા છે તેવું કહીને જવાબદારીમાંથી હાથ ખંખેરી લીધા હતા. ત્યારબાદ કાર્યક્રમમાં આમંત્રણથી લઇને ભાજપના કાર્યાલયમાં ચેમ્બર સુધીના વિવાદ સામે આવ્યા હતા. તે જ રીતે પોરબંદરમાં પણ તેઓને આમંત્રણ આપવા અંગે અનેક વખત વિવાદ સર્જાયો છે.
રામભાઇ મોકરિયા હાલ રાજ્યસભાના સાંસદ છે, તેઓના પ્રદેશને લઇને પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ અને સંગઠન મહામંત્રી રત્નાકરની હાજરીમાં જે હાસ્યની શૈલીમાં પરંતુ માર્મિક ચર્ચાઓ થઇ તે જરૂરથી ભાજપ માટે ચિંતનનો વિષય છે. ભાજપના આંતરિક જુથવાદનું પ્રતિબિંબ છે.
આ પણ વાંચો: PM મોદીના જન્મદિવસથી મહિલાઓને વર્ષે રૂ. 10,000 આપવા સુભદ્રા યોજનાનો થશે પ્રારંભ