ખેડૂતો માટે સમાચાર – ઓનલાઈન અરજી કરવા આઈ-ખેડૂત પોર્ટલ જિલ્લાદીઠ તબક્કાવાર ખુલ્લું રખાશે
- GujaratOthers
- September 20, 2024
- No Comment
- 10
ગુજરાતના ખેડૂતોને સ્વનિર્ભરતા તરફ લઇ જવા માટે રાજ્ય સરકારે અનેકવિધ ખેડૂત કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકી છે. ખેડૂતો સરળતાથી અરજી કરીને યોજનાઓનો લાભ મેળવી શકે તે માટે આઈ-ખેડૂત પોર્ટલ કાર્યરત કરવામાં આવ્યું છે. વર્ષ 2024-25માં ખેડૂતો આવી વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ મેળવવા અરજી કરી શકે તે માટે ખેતી નિયામકની કચેરી-ગાંધીનગર દ્વારા જિલ્લાવાર સાત દિવસ માટે આઈ-ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવશે, તેમ ખેતી નિયામકની અખબારી યાદીમાં જણાવાયું છે.
કઈ કઈ સેવા માટે ઓનલાઈન અરજી કરવી પડે
ગુજરાતમાં રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે અનેક યોજનાઓ અમલમાં છે. આ યોજનાઓમાં કોઈ પ્રકારે ગેરરીતિ ના થાય તે માટે ઓનલાઈન અરજી કરવાની પ્રક્રીયા છે. ગુજરાતના ખેડૂતો માટે હાલમાં ખેડૂતો માટેની ખેત ઓજાર, પાક સંરક્ષણ સાધનો, ફાર્મ મશીનરી બેંક, , વોટર કેરીંગ પાઇપલાઈન પાક મૂલ્યવૃદ્ધિ, મિલેટ પ્રોસેસિંગ યુનિટ, એગ્રો સર્વિસ પ્રોવાઈડર, તાડપત્રી, પાવર સંચાલીત પંપ સેટ્સ, સોલાર પાવર યુનિટ અને રાઈડ ઓન સેલ્ફ પ્રોપેલ્ડ મલ્ટીપર્પઝ ટૂલબાર જેવી ખેડૂતલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડૂત પોર્ટલ તબક્કાવાર ખુલ્લું મૂકવામાં આવશે.
21 થી27 સપ્ટેમ્બરે કયા જિલ્લાના ખેડૂતો કરી શકશે અરજી
ગુજરાતના કૃષિ નિયામક અને કૃષિ વિભાગે નક્કી કર્યા મુજબ સૌરાષ્ટ્રના પાંચ જિલ્લા રાજકોટ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, સુરેન્દ્રનગર, તેમજ કચ્છ ઉપરાંત દક્ષિણ ગુજરાતના પાંચ જિલ્લાઓ સુરત, નવસારી, વલસાડ તાપી અને ડાંગ જિલ્લાને મળી કુલ 11 જિલ્લાના ખેડૂત મિત્રો વિવિધ યોજનાનો લાભ મેળવવા માટે આગામી તા. 21 સપ્ટેમ્બરથી 27 સપ્ટેમ્બર, 2024 સુધી આઈ-ખેડૂત પોર્ટલ પર અરજી કરી શકશે.
23 થી29 સપ્ટેમ્બર કયા જિલ્લાના ખેડૂતો કરી શકશે અરજી
તેવી જ રીતે, મધ્ય અને ઉત્તર ગુજરાતના ચાર જિલ્લા અમદાવાદ, ખેડા, આણંદ, ગાંધીનગર, સૌરાષ્ટ્રના છ જિલ્લાઓ અમરેલી, પોરબંદર, ભાવનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, અને બોટાદ જિલ્લાને મળી કુલ 10 જિલ્લાના ખેડૂતો આગામી 23 થી 29 સપ્ટેમ્બર, 2024 સુધી આઈ-ખેડૂત પોર્ટલ પર અરજી કરી શકશે.
24 થી 30 સપ્ટેમ્બર કયા જિલ્લાના ખેડૂતો કરી શકશે અરજી
આ ઉપરાંત ઉત્તર ગુજરાત અને મધ્ય-પૂર્વ ગુજરાતના 10 જિલ્લાઓ મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, છોટાઉદેપુર, પંચમહાલ, મહીસાગર, દાહોદ, અરવલ્લી, વડોદરા, દક્ષિણ ગુજરાતના 2 જિલ્લા ભરૂચ અને નર્મદા જિલ્લાને મળી કુલ 12 જિલ્લાના ખેડૂતો આગામી તા. 24 થી 30 સપ્ટેમ્બર, 2024 સુધી આઈ-ખેડૂત પોર્ટલ ઉપર અરજી કરી શકશે.
ખેડૂતો માટે ગુજરાત સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો મહત્તમ લાભ લેવા માટે, આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરીને સૌ ખેડૂતોને કૃષિ નિયામક દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.