અમદાવાદ, પાલનપુર બાદ રાજકોટમાં પણ આવાસ યોજનામાં સામે આવ્યો અંધેર વહીવટ, 2 વર્ષથી તૈયાર આવાસો ખાઈ રહ્યા છે ધૂળ- Video
- GujaratOthers
- September 23, 2024
- No Comment
- 3
અમદાવાદ બાદ હવે રાજકોટમાં પણ આવાસ યોજનાનો વિવાદ સામે આવ્યો છે. મહાનગરપાલિકાના વધુ એક અંધેર વહીવટનો નમૂનો સામે આવ્યો છે. રાજકોટમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત તૈયાર થયેલા 128 આવાસોનું જૂન- 2022માં લોકાર્પણ કરી દેવાયુ. પરંતુ આજ દિન સુધી આ આવાસોની તેના લાભાર્થીઓને ફાળવણી કરવામાં આવી નથી. બે વર્ષથી તૈયાર થયેલા મકાનો હાલ ધૂળ ખાઈ રહ્યા છે અને ખંઢેર બનવાની કગાર પર છે. પરંતુ તંત્રને ના તો સરકારના પૈસાની પડી છે ના તો ગરીબ લાભાર્થીઓની કંઈ પડી છે અને તેમના ગેરવહીવટના કારણે કરોડો રૂપિયાનું આંધણ થઈ રહ્યુ છે.
રાજકોટમાં રવિશંકર મહારાજ આવાસ વિવાદ મુદ્દે ફરી ગરમાયું છે રાજકારણ. છેલ્લા 2 વર્ષથી ધૂળ ખાઇ રહેલા આવાસો મુદ્દે કોંગ્રેસના નેતા મહેશ રાજપૂતે મનપાના પદાધિકારીઓ સામે સવાલો ઉઠાવ્યા. તેમણે કહ્યું કે આવાસ ગરીબો માટે નહીં, પરંતુ ભાજપના કોર્પોરેટરો માટે છે. આ આવાસ પહેલા ભાજપના મળતિયાઓને ફાળવાશે, પછી લોકોને લાભ મળશે. બીજી તરફ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે જણાવ્યું કે આવાસ મામલે તપાસના આદેશ અપાયા છે. ક્યા કારણોસર આવાસ નથી ફાળવવામાં આવ્યા તેની તપાસ થશે.
મહાનગરોનો અંધેર વહિવટ !
શહેર ભલે અલગ અલગ હોય. પરંતુ બેદરકારી. એક સમાન છે. સરકારી આવાસ બનીને તૈયાર છે. છતાં લાભાર્થીઓને આપવામાં આવી રહ્યા નથી. કરોડો રૂપિયા તો ખર્ચી દીધા. મકાન તો બનાવી દીધા. પરંતુ હવે આ મકાન. જે અનેક લોકોનું સપનું છે. તે હાલ ધૂળ ખાઇ રહ્યા છે. કારણ કે રાજકોટ મહાનગરપાલિકામાં અંધેર વહિવટ ચાલે છે. વર્ષ 2022માં આવાસનું લોકાર્પણ તો મહાપાલિકાએ કરી નાખ્યું. પરંતુ બે વર્ષથી વધુ સમય છતાં હજુ લાભાર્થીઓને આવાસ મળ્યાં નથી. બંધ પડેલાં આવાસો હવે જર્જરીત થવા લાગ્યા છે.
tv9 એ આ ધૂળ ખાઇ રહેલા આવાસ મુદ્દે રાજકોટ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરને સીધો સવાલ કર્યો. ત્યારે મહાનગરપાલિકાએ ખાતરી આપી છે કે આગામી 15 દિવસની અંદર જ ઓનલાઇન ડ્રો કરી આવાસ લાભાર્થીઓને આપવામાં આવશે
હાલ તંત્રે તો ખાતરી આપી દીધી. પરંતુ સવાલ એ છે કે છેલ્લા 2 વર્ષથી મહાનગરપાલિકા શું કરી રહી હતી ? કેમ 2 વર્ષમાં આવાસની ફાળવણી ના કરવામાં આવી ? લોકાર્પણ બાદ પણ કેમ મહાનગરપાલિકાએ આળસ દેખાડી ?
ગરીબો માટે આવાસ બનાવી તો દીધા. પરંતુ ત્યાં સુધી આ આવાસ ગરીબ લોકોને મળશે નહીં ત્યાં સુધી આ આવાસ શોભાના ગાંઠિયા જ બનીને રહેશે. ત્યારે હવે સમય રહેતા આ આવાસની ફાળવણી થવી જોઇએ. નહીં તો આ આવાસ આગામી દિવસોમાં ખંડેર બની જશે.