અમદાવાદમાં વ્યાજના દુષણ વચ્ચે ખેલાયો ખૂની ખેલ, વ્યાજખોરે નજીવી રકમ માટે વ્યક્તિને તલવારનો ઘા ઝીંકી કરી હત્યા
- GujaratOthers
- August 21, 2024
- No Comment
- 8
એક તરફ પોલીસ વ્યાજખોરો સામે ફરિયાદની ઝુંબેશ ચલાવી રહી છે. ત્યારે બીજી તરફ વ્યાજખોરોએ ઉઘરાણી માટે હત્યા નિપજાવી હોવાની ઘટના સામે આવી છે. ઘટનાની વાત કરીએ તો અમદાવાદના મણિનગરમાં વ્યાજખોરે રૂપિયા 5 હજારની ઉઘરાણી માટે યુવકને તલવારના ઘા ઝીકીને કરપીણ હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે.
મૃતક અને આરોપી વચ્ચે રૂપિયાની ઉઘરાણીને લઈને તકરાર થતા હત્યા કરાઈ હતી. મણિનગર પોલીસે વ્યાજખોર અને તેના સાગરિત સહિત 3 વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી છે.
અમદાવાદમાં વ્યાજના દુષણ વચ્ચે ખેલાયો ખૂની ખેલ.ઘટનાની વાત કરીએ તો વટવામાં રહેતા 38 વર્ષીય લલિતભાઈ ગગનાની પોતાના મિત્રો સાથે કાંકરિયા ખાતે ઝીરાફ સર્કલ નજીક ફૂટપાથ પર ઉભા હતા. ત્યારે વ્યાજખોર ભાવિક ઉર્ફે ભાવેશ ઉર્ફે જય ભોલે, કૈલાસ તેમજ એક અજાણ્યો યુવક કારમાં તલવાર અને છરી લઈને આવ્યા અને ત્યાર બાદ લલિતભાઈ સાથે ઝઘડો કરીને તલવારથી હુમલો કરીને હત્યા કરી દીધી.
શા માટે કરી હત્યા ?
પોલીસ તપાસમાં સામે આવ્યું કે મૃતક લલિતભાઈ રીક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. પોતાની આર્થિક સ્થિતિ ખરાબ હોવાથી તેમણે થોડા સમય પહેલા જય ભોલે ફાઇનાન્સ કંપની ચલાવતા ભાવિક ઉર્ફે ભાવેશ પાસેથી વ્યાજે રૂ 5 હજાર લીધા હતા અને દરરોજ 100 રૂપિયા ચૂકવતો હતો. પરંતુ થોડા સમયથી ચુકવણી બંધ કરી દીધી હતી.
વ્યાજખોર દ્વારા ઉઘરાણી શરૂ કરવામાં આવી હતા. આ ઉઘરાણી દરમ્યાન મૃતક લલિતભાઈએ અશ્લીલ શબ્દો બોલતા વ્યાજખોર ઉશ્કેરાઈ ગયો હતો અને પોતાના માણસોને લઈને મૃતકની હત્યા કરવા નીકળ્યો હતો. મૃતક મિત્રો સાથે વાતચીત કરતો હતો. ત્યારે આરોપીઓએ હથિયારોથી હુમલો કરીને હત્યા કરી દીધી. આ ઘટનાને લઈને મણિનગર પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
હત્યા કરી આરોપીઓ ફરાર
મણિનગર પોલીસે હત્યા કેસમાં પરિવારના નિવેદન નોંધી તપાસ હાથ ધરી છે. આરોપી ભાવિકના નિવાસસ્થાને તપાસ કરતા તે પોતાના સાગરિત સાથે ફરાર થઇ ગયો છે. જેથી જુદી – જુદી ટીમો બનાવીને આરોપીની શોધખોળ શરૂ કરી છે.