અમદાવાદમાં વ્યાજખોરોનો આતંક, 35 હજાર રૂપિયા 10 ટકા વ્યાજે આપ્યા બાદ ઉઘરાણી માટે કર્યું અપહરણ
- GujaratOthers
- August 24, 2024
- No Comment
- 8
અમદાવાદના વસ્ત્રાપુરમાં યુવકનું અપહરણ કરનાર વ્યાજખોરની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. યુવકે બાઇકના હપ્તા ભરવા માટે વ્યાજખોર પાસેથી 35 હજાર રૂપિયા 10 ટકા વ્યાજે લીધા હતા, જેની સામે તેને મુડી અને વ્યાજ પેટે પૈસા ચૂકવી દીધા હતા, તેમ છતાંય વ્યાજખોરે વધુ 40 હજાર માંગીને યુવકનું અપહરણ કર્યુ હતું.
ક્રાઇમ બ્રાન્ચે આરોપી રાહુલ દેસાઈની અપહરણ કેસમા ધરપકડ કરાઈ છે. આરોપી રાહુલ દેસાઈએ વસ્ત્રાપુર ગામમાં રહેતા અને જમીન દલાલીનું કામ કરતા રવિભાઈ માલીને અપહરણ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી છે.
રવીએ વ્યાજ અને મુડી પેટે 1.30 લાખ ચુકવ્યા
ઘટના કઈક એવી છે કે ફરિયાદી યુવક રવી છ માસ પહેલા બાઇકની લોન ભરવાની હોવાથી તેના મિત્ર થકી રાહુલ દેસાઇ સાથે મુલાકાત કરી હતી. આરોપી રાહુલે 10 ટકા વ્યાજે 35 હજાર આપ્યા હતા. જેની સામે રવીએ વ્યાજ અને મુડી પેટે 1.30 લાખ ચુકવ્યા હતા. છતાંય રાહુલ વ્યાજના 40 હજાર બાકી હોવાનું કહીને ઉઘરાણી કરતો હતો.
રવીના પિતાની પાસે 40 હજાર માગ્યા
રાત્રી દરમ્યાન રાહુલે રવીને વસ્ત્રાપુર ગામ પાસે મળવા બોલાવ્યા હતા. વ્યક્તિ સ્થળ પર પહોંચ્યો ત્યારે રાહુલે તેમને ગાડીમાં બેસાડીને તેમના પિતાને ફોન કર્યો હતો. રવીના પિતાની પાસે 40 હજાર માંગીને તમારો દીકરો મારી પાસે છે તેમ કહીને ફોન કાપી નાખ્યો હતો.
આરોપી રાહુલે અપહરણ કરીને થલતેજ, જીએમડીસી વિસ્તારમાં ફેરવીને વસ્ત્રાપુર સરદાર સેન્ટર પાસે રવીભાઇને લઇ જવાયો હતો.
વસ્ત્રાપુર પોલીસે ગુનો નોંધ્યો
બીજી તરફ રવીએ પોલીસને જાણ કરતા રાહુલે રવીભાઇ પાસે ઓનલાઇન બે હજાર અને ફોન લઇને કારમાંથી ઉતારી દીધો હતો અને કહ્યું કે ફરિયાદ કરીશ તો મારી નાખીશ તેવી ધમકી આપીને રાહુલ રવાના થઇ જતા વસ્ત્રાપુર પોલીસે ગુનો નોંધ્યો હતો. જે મામલે ક્રાઇમબ્રાંચે તપાસ કરીને બાતમી આધારે આરોપી રાહુલ દેસાઇની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
આરોપી રાહુલની ધરપકડ બાદ પૂછપરછ કરતા તેની સામે મહેસાણા અને ગાંધીનગરમાં લૂંટ, મારમારી સહિતનાં ગંભીર પ્રકારના કુલ 9 ગુના નોંધાયા છે સાથે જ ચાંદખેડામાં પણ છેતરપિંડીનો ગુનો નોંધાયો હતો જેમાં તે વોન્ટેડ હતો. આરોપી ગુનાહિત પ્રવૃત્તિ ધરાવે છે જેથી પોલીસે આરોપી રાહુલનાં રિમાન્ડ મેળવી વધુ તપાસ શરૂ કરી છે.