અમદાવાદમાં ફાયર સેફ્ટી ન ધરાવતી સ્કૂલોને સીલ કરાતા શાળા સંચાલક મહામંડળે 15 દિવસનો સમય આપવા કરી માગ- Video
- GujaratOthers
- June 7, 2024
- No Comment
- 11
રાજ્યમાં અગ્નિકાંડની ઘટના બાદ રાજ્યભરની શાળાઓમાં ફાયર સેફ્ટી મુદ્દે તંત્રની કામગીરીથી શાળા સંચાલકો નારાજ થયા છે. રાજ્યમાં 200 થી વધુ શાળાઓને સીલ કરવામાં આવતા શાળા સંચાલક મહામંડળે વિરોધ નોંધાવ્યો છે.
સમગ્ર રાજ્યને હચમચાવી દેનારા અને 28 થી વધુ જિંદગીનો ભોગ લેનારી રાજકોટ અગ્નિકાંડની ઘટના બાદ ફાયર સેફ્ટીને લઈને કોઈપણ પ્રકારની બાંધછોડ કરવાના મતમાં સરકાર નથી. આથી જ રાજ્યભરની શાળાઓમાં ફાયર સેફ્ટીને લઈને ચેકિંગ હાથ ધરવામાં આવ્યુ છે. એકાએક સરકાર દ્વારા કડક હાથે કાર્યવાહી કરવામાં આવતા શાળા સંચાલકો ઉંઘમાંથી બેઠા થયા છે અને થોડો સમય આપવાની માગ કરી રહ્યા છે.
હાલ શાળામાં નવુ સત્ર શરૂ થવાને આડે ગણતરીના દિવસો બાકી છે એ સમયે જ શાળાઓ સીલ કરી દેવાતા શાળા સંચાલક મહામંડળે થોડો સમય આપવાની માગ કરી છે. શાળા સંચાલક મહામંડળના ભાસ્કર પટેલે જણાવ્યુ કે ફાયર નિયામકે તેમને મળેલા પરિપત્રનું અર્થઘટન કરવુ જોઈએ. વધુમાં તેમણે ઉમેર્યુ કે શાળાઓને એક તક આપવી જોઈએ. સીધેસીધી શાળાઓ સીલ ન કરવી જોઈએ. પહેલા નોટિસ આપો અને 15 દિવસનો સમય આપો.આ બાદ જો શાળા દ્વારા ફાયર સેફ્ટીના સાધનો વસાવવામાં ન આવે તો સીલ કરવાની કામગીરી કરવી જોઈએ.
આપને જણાવી દઈએ કે અમદાવાદમાં 9 મીટરથી ઓછી ઊંચાઈ ધરાવતી શાળાઓ પર તવાઈ બોલાવવામાં આવી છે. જ્યારે માત્ર સુરત પાલિકા દ્વારા જ રેકોર્ડ બ્રેક 250 શાળાઓ સીલ કરવામાં આવી છે. વડોદરા શહેરના ચાર ઝોનમાં ચાલતી 25 પ્રિ સ્કૂલને સીલ કરી દેવામાં આવી છે. રહેણાંક વિસ્તારોમાં કમર્શિયલ વપરાશને લીધે સ્કૂલોને સીલ કરાઈ છે. તો ફાયર સેફ્ટી અને BU પરવાનગી વગર ચાલતી શાળાઓ પર પણ તવાઈ બોલાવાઈ છે. બીજી તરફ રાજકોટમાં પણ 100 જેટલી શાળાઓને સીલ મારી દેવાતા શાળા સંચાલોકમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
રાજકોટમાં RMC ખાતે શાળા સંચાલક મંડળ વિરોધ નોંધાવવા ઉમટ્યું હતું. સંચાલકોનું કહેવું છે કે તેમણે 2021ના નિયમો મુજબ ફાયર સેફ્ટીના સાધનો લગાવેલા જ છે. પરંતુ તેમને વર્ષ 2023ના ફાયર સેફ્ટીના નવા નિયમોની તંત્ર દ્વારા જાણ જ કરવામાં નથી આવી.