
વૃક્ષ જતનની સલાહ આપતી સરકારે જ આ વૃક્ષ પર મુક્યો પ્રતિબંધ, AMC શહેરમાં કાપી રહ્યુ છે આ વૃક્ષ, જાણો શું છે કારણ
- GujaratOthers
- November 6, 2023
- No Comment
- 12

પહેલાં સુરતમાં કોનોકાર્પસ વૃક્ષો પર કુહાડીઓ ફેરવી દેવાઈ. હવે અમદાવાદમાં પણ કોનોકાર્પસનો સફાયો કરવામાં આવી રહ્યો છે. અમદાવાદમાં કોર્પોરેશનની ઓફિસો સહિત એલજી હોસ્પિટલમાં કોનોકાર્પસ દૂર કરવામાં આવ્યા છે. જાહેર માર્ગો પર પણ આવેલા કોનોકાર્પસ સત્વરે દૂર કરવા મ્યુનિસિપલ કમિશનરે સૂચના આપી છે. જેને પગલે કોનોકાર્પસ દૂર કરવાની કામગીરી સઘન કરાઇ છે.
હકીકતમાં વિદેશી પ્રજાતિનાં કોનોકાર્પસને નર્સરીમાં ઉછેર નહીં કરવા છોડથી થતી આડ અસરોથી બચવા તમામ સરકારી વિભાગ અને વન વિભાગની કચેરીઓને નર્સરીમાં આ વનસ્પતિનું વાવેતર નહીં કરવા સૂચના આપી દેવાઈ છે. એટલું જ નહિ શિબિર યોજીને લોકોને જાગૃત કરવા અનુરોધ પણ કરવામાં આવ્યો છે. અમદાવાદ જિલ્લામાં હજુ તેનું પાલન થયું નથી, પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ગાર્ડન વિભાગે કોર્પોરેશનની પ્રિમાઇસીસમાં આવેલા કોનોકાર્પસ દૂર કરવાની કામગીરી ઝડપી બનાવી દીધી છે.
આ પહેલાં સુરતમાં પણ શુક્રવારથી જ જાહેર રસ્તાઓ પર ઠેર-ઠેર વૃક્ષો કપાતા જોવા મળ્યા હતા. આમ તો વૃક્ષો કપાતા જોઈને ચોંકી જવાય. પણ લોકોના સ્વાસ્થ્યની સુરક્ષા માટે થઈને આ વૃક્ષો કાપવાની કામગીરી હાથ ધરાઈ છે. હકીકતમાં આ એ જ કોનોકાર્પસ વૃક્ષ છે કે જેને પર્યાવરણ માટે તેમજ લોકોના સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક મનાઈ રહ્યા છે. એટલે જ સુરત મહાનગરપાલિકા દ્વારા તેને સત્વરે કાપવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
વૃક્ષો પર્યાવરણ માટે સારા તો આ વૃક્ષોનો સફાયો કેમ ?
આ પ્રજાતિના વૃક્ષોના પર્યાવરણ, માનવ જીવન પર નકારાત્મક અસરો અને ગેરફાયદા ધ્યાને આવેલા છે. ઘણા સંદેશા વ્યવહાર કેબલ, ડ્રેનેજ લાઇન, તાજા પાણીની વ્યવસ્થાને નુકસાન પહોંચાડે છે. આ વૃક્ષોમાં શિયાળાની ઋતુમાં ફૂલો આવે છે, તેની પરાગરજ આસપાસ ફેલાય છે અને શરદી, એલર્જી, ઉધરસ અને અસ્થમા જેવા રોગો ફેલાવે છે. આ તમામ બાબચો ધ્યાને આવી હોવાના કારણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હવે એક્શનમાં આવ્યું છે.
કોનોકાર્પસ વૃક્ષોની પર્યાવરણ પર શું અસર થાય છે ?
આ વૃક્ષની માનવ જીવન પર નકારાત્મક અસરો તો થાય છે જ સાથે અનેક ગેરફાયદા પણ છે. આ વૃક્ષના મૂળ ઘણા ઊંડે સુધી ફેલાતા હોય છે.જેના કારણે સંદેશા વ્યવહાર કેબલ, ડ્રેનેજ લાઇનને નુકસાન થાય છે. સાથે જ તે તાજા પાણીની વ્યવસ્થાને નુકસાન પહોંચાડે છે. આ વૃક્ષોમાં શિયાળાની ઋતુમાં ફૂલો આવે છે. તેની પરાગરજ આસપાસ ફેલાય છે. જે શરદી, એલર્જી, ઉધરસ અને અસ્થમા જેવા રોગો ફેલાવે છે. ત્યારે હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને વૃક્ષો દૂર કરવા ઝુંબેશ ઉઠાવી છે.